international

ચીનમાં મુસ્લિમ સમુદાય પર ગુલામો જેવું વર્તન થવાના આવ્યા પુરાવા , મહિલાઓનું શોષણ અને પુરુષોને પરાણે નસબંધી થઈ રહી છે…

ચીનમાં મુસ્લિમ સમુદાય પર ગુલામો જેવું વર્તન થવાના આવ્યા પુરાવા , મહિલાઓનું શોષણ અને પુરુષોને પરાણે નસબંધી થઈ રહી છે…,ચીનમાં માનવાધિકારોના ધજાગરા ઊડી રહ્યા છે. શિનજિયાંગમાં ઉઇગર, વંશીય અને ધાર્મિક લઘુમતીઓ હેવાનિયતનો શિકાર છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન આતંકવાદ અને ઉગ્રવાદ સામે કાર્યવાહીના નામે અત્યાચાર કરી રહ્યું છે.

શિનજિયાંગમાં ઉઇગર તથા અન્ય મુસ્લિમ સમૂહોને 2017થી 2019 દરમિયાન તેમના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવાયા. તેમને બંધક બનાવી યાતનાઓ અપાઇ રહી છે. મુસ્લિમ મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવ બની રહ્યા છે તો પુરુષોની પરાણે નસબંધી કરી દેવાય છે. તેમની સાથે ગુલામો જેવું વર્તન કરાય છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ચીનમાં થઇ રહેલો આ અત્યાચાર માનવતા વિરુદ્ધનો ગુનો છે.

બંદી શિબિરોમાં 10 લાખ ઉઇગરો કેદ છે. 45 પેજના આ રિપોર્ટમાં મોટી સંખ્યામાં ઉઇગર મુસ્લિમો લાપતા હોવાનો પણ દાવો કરાયો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવાયું છે કે ચીને તેના રોજગાર નિયમો અને નીતિઓ વૈશ્વિક માપદંડોને અનુરૂપ કરવા જોઇએ. ચીનમાં જાતિ અને ધર્મના આધારે લોકોને ટારગેટ કરાય છે. ભેદભાવપૂર્ણ વર્તનને કારણે ઉઇગરો શોષિત અને દબાયેલા-કચડાયેલા હોવાનું અનુભવે છે.

સંયુક્ત રાષ્ટ્રનાં હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ મિશેલ બેચલેટે ચીનમાં માનવાધિકારો અંગેનો આ રિપોર્ટ તેમનો કાર્યકાળ પૂરો થવાની 13 મિનિટ પહેલાં જારી કર્યો. તેઓ ગત ડિસે.માં રિપોર્ટ જારી કરવાનું કહેતાં હતાં પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે તેમની ટીકા પણ થઇ હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનના કાયદા માનવાધિકારોના માર્ગમાં મોટો અવરોધ છે. રિપોર્ટમાં 40થી વધુ ઉઇગરો, કઝાખ અને કિર્ગીઝ લઘુમતીઓ સાથે વાત કરાઇ. તેમણે જણાવ્યું કે તેમણે શિનજિયાંગમાં કેદ રહીને જુદી-જુદી જગ્યાએ કામ કર્યું, જીવન નરક જેવું હતું.

માનવાધિકાર જૂથો અને જાપાન સરકારે આ રિપોર્ટને આવકાર્યો છે જ્યારે ચીને એમ કહીને રિપોર્ટ ફગાવ્યો કે તે ચીનવિરોધી બળોએ ફેલાવેલી ખોટી માહિતીઓ પર આધારિત છે. આ ચીનને બદનામ કરવાની ચાલ છે અને દેશની આંતરિક બાબતોમાં દખલ છે.

ધાર્મિક સ્વતંત્રતા પર દેખરેખ રાખતી અમેરિકી એજન્સીએ ચેતવણી આપી છે કે ચીન હુમલો કરશે તો તાઇવાનના લોકોના ઉઇગરો જેવા હાલ થઇ શકે છે. એજન્સીના અધ્યક્ષ નુરી તુકરેલેએ કહ્યું કે તાઇવાન પોતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું તો સ્થિતિ ભયાવહ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *