CM ભુપેન્દ્ર પટેલ એ ગુજરાત માં આવાસ યોજનાને લઈને કર્યો મોટો નિર્ણય, હવે…. જાણીને ખુશ થશો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ ૭ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
ભૂપેન્દ્ર પટેલે જે પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં ૩૮/૧ દાણીલીમડા તથા ગાંધીનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. ૬૧ ખોરજ ખોડિયારનો સમાવેશ થાય છે
મુખ્યમંત્રીએ વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાની કુલ ૭ ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે કુલ ૩૨.૫૫ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આ બધી સ્કીમમાં મળીને અંદાજે કુલ ૨૭૫૦૦ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બની શકશે. એટલું જ નહીં, બાગબગીચા તથા રમતગમતના મેદાન, ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા ૩૩.૬૬ હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધા માટે ૫૫.૫૮ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.આ ઉપરાંત આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે ૧૧૫.૯૭ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.