અમદાવાદ શહેરના ચકચારી આયેશા આત્મહત્યા કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે આયેશાના આ વીડિયોના આધારે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આયેશા એ મરતા પહેલા બનાવેલા વીડિયોને મહત્વનો પુરાવો ગણ્યો હતો. કોર્ટે નોંધ્યું છે કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને ન બક્ષી શકાય. જેને લઇને આરોપીના વોઇઝ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટને મહત્વનો પુરાવો ગણ્યો હતો.
અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની પરિણીતાએ 2 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા આયેશાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો હતો. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. બાદમાં આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો.
આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે. આત્માહત્યા કરતા પહેલા આયેશાએ તેના પતિ આરીફ સાથે 70થી 72 મિનિટ વાત કરી હતી. જેમાં તેણે આયેશાને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપી હોવાનું સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ ધ્યાને લઇને સજાનું એલાન કર્યું છે.
આયેશાએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં કહ્યુ હતું કે, ‘ હેલો, અસલામોઅલયકુમ, મારું નામ આયેશા આરીફ ખાન છે … અને હું જે કંઇ કરવા જઇ રહી છું, મારી ઇચ્છા પ્રમાણે કરી રહી છું. આમાં કોઈ દબાણ નથી, હવે શું કહેવું? સમજો કે ભગવાન દ્વારા આપવામાં આવેલું જીવન પૂરતું હતુ અને મને આટલું જીવન સૂકૂન ભરેલું લાગ્યું. અને પપ્પા, તમે ક્યાં સુધી લડશો? કેસ પાછો ખેંચો. આયેશાને લડાઇ માટે બનાવવામાં આવી નથી. અને જો તે આરીફને પ્રેમ કરે છે, તો તે તેને ત્રાસ આપશે નહીં. જો તેને સ્વતંત્રતા જોઈએ છે, તો તેણે મુક્ત થવું જોઈએ.’.
ચાલો મારું જીવન અહીં સુધી જ હતુ. મને ખુશી છે કે હું અલ્લાહને મળીશ અને તેમને કહીશ કે મારી ક્યાં ભૂલ હતી? માતાપિતા ખૂબ સારા છે, મિત્રો ખૂબ સારા છે, પણ ક્યાંક મારામાં કમી રહી ગઇ હશે. અલ્લાહને પ્રાર્થના કરીશ કે ફરીથી માણસોનો ચહેરો ન બતાવે. પ્રેમ કરવો હોય તો બંને તરફથી પ્રેમ મળવો જરૂરી છે. કેટલીક મહોબ્બત લગ્ન પછી પણ અધૂરી રહે છે. ઓ પ્યારી નદી, મને પ્રેમ કરો, મને તમારામાં લો અને મારી પીઠ પાછળ વધુ બખેડો ન કરતા.’.
‘હું પવનની જેમ છું, ફક્ત વહેતી રહેવા માંગું છું. કોઈ માટે અટકવું નથી, મને ખુશી છે કે આજે મને મારા સવાલોના જવાબ મળી ગયા છે. અને જેને હું જે કહેવા માગતી હતી તે મેં કહી દીધું છે. આભાર, પ્રાર્થનામાં મને યાદ રાખો.શું ખબર જન્નત મળે ન મળે. બાય બાય.’.