રાજસ્થાન માં 300 વર્ષ જુના મંદિરો પર સરકારે ચલાવી દીધું બુલડોઝર, અને મૂર્તિઓ ને તો કટર થી કાપી નાખી : અલવરના રાજગઢમાં ત્રણ મંદિરને તોડવામાં આવ્યાં હોવાની ઘટના સામે આવી છે. ત્યાર પછી ભાજપે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપની આઈટી સેલના ચીફ અમિત માલવીયએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે કરૌલી અને જહાંગીરપુરીમાં મગરનાં આંસુ વહાવવા એ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે.
રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર ફેરવીને એને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. શિવાલયમાં ચંપલ પહેરીને જવાથી અને મૂર્તિઓ પર કટર મશીન ફેરવવાથી હિન્દુવાદી સંગઠનો ગુસ્સે થઈ ગયાં છે.
આ કાર્યવાહીના વિરોધમાં નગરપાલિકાના EO, SDM અને રાજગઢ ધારાસભ્યના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની ધમકી આપવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ કેસ દાખલ કરવામા આવ્યો નથી. BJP નેશનલ આઈટીસેલના ચીફ અમિત માલવીયાએ કહ્યું હતું કે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી એ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે.
ત્યાર પછી વધુ એક ટ્વીટમાં માલવીયએ કહ્યું હતું કે 18 એપ્રિલે રાજસ્થાનના રાજગઢમાં કોઈપણ નોટિસ આપ્યા વગર પ્રશાસને 85 હિન્દુઓનાં પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ચલાવી દીધું હતું. પ્રશાસનનું કહેવું છે કે માસ્ટર પ્લાન પ્રમાણે, રાજગઢમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. અહીં હકીકતમાં 60 ફૂટનો પહોળો રસ્તો હતો, પરંતુ ગેરકાયદે બાંધકામને કારણે એ 25 ફૂટનો પણ નહોતો રહ્યો. આ કારણે જેસીબીથી અતિક્રમણ હટાવવામાં આવ્યું છે.
કોંગ્રેસ ધારાસભ્ય જૌહરી લાલ મીણાએ કહ્યું હતું કે અહીંની નગરપાલિકામાં ભાજપનું બોર્ડ છે, તેથી તેઓ વધારે કઈ કહી શકે એમ નથી. બીજી બાજુ, નગરપાલિકા બોર્ડના અધ્યક્ષનું કહેવું છે કે આ કાર્યવાહી પ્રશાસન સ્તરે કરવામાં આવી છે. જ્યારે પ્રશાસનનું કહેવું છે કે નગરપાલિકાએ આ પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યાર પછી અતિક્રમણ હટાવવામાં આવ્યું છે. હકીકતમાં 2012ના માસ્ટર પ્લાનમાં આ 60 ફૂટનો રસ્તો છે. આ માસ્ટર પ્લાનની વાત કરીને અતિક્રમણ હટાવવામાં આવ્યું છે.
રાજ્યસભા સાંસદ અને ભાજપના મોટા નેતા કિરોડીલાલ મીણાએ આ કાર્યવાહી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ભાજપના બોર્ડને કારણે આ ભૂલ થઈ છે. આને તોડવાનું નહોતું. બીજી બાજુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું હતું કે 300 વર્ષ જૂનું મંદિર અતિક્રમણ કેવી રીતે હોઈ શકે. ભાજપે તેમની એક ટીમ ઘટનાસ્થળે મોકલી છે, જે 3 દિવસમાં એનો રિપોર્ટ આપશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે વિકાસના નામે ભગવાનના મંદિર પર પ્રહાર કરવા ખૂબ દુઃખદ છે. તેમણે આ વિશે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે તમે લાગણીઓની સાથે વોટ બેન્કની રાજનીતિને આગળ વધારી રહ્યા છો.