10 દિવસ પહેલા કેનેડા ગયેલા પટેલ પરિવાર થયો લાપતા, બરફ નીચેથી મળ્યા 4 મૃતદેહો-જાણો સમગ્ર મામલો
ભારત સરકારે યુએસ-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયોના મોતની માહિતી માંગી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે કેનેડા સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વિદેશ મંત્રીએ શુક્રવારે યુએસ-કેનેડા સરહદ પર ચાર ભારતીય નાગરિકોના પરિવારના ઠંડીથી મૃત્યુ પામ્યા બાદ શોક વ્યક્ત કર્યો હતો.
યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. સત્તાવાળાઓ માને છે કે ઉક્ત પરિવારને આ ઠંડીનો ભોગ બનવું પડ્યું હતું જ્યારે તેઓએ હિમવર્ષામાંથી પસાર થવાનો અસફળ પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાથી ગુજરાતસહીત ભારત દેશમાં ચકચાર મચી ગઈ છે. જોકે, હજુ સુધી આવી કરુણ રીતે મોતને ભેટેલ ગુજરાતીઓ કોણ છે તેનો કોઈ પણ પ્રકારનો પત્તો થયો નથી. આ મૃતકો ઉત્તર ગુજરાતનાં કલોલ તાલુકાના પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જેને કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી ગઈ છે. સાથે જ વિદેશ લઈ જવાના ખ્વાબ બતાવનારા એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કલોલના ડિંગુચા ગામનો એક પરિવાર લાપતા થયો હોવાનુ સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 10 દિવસ પહેલા બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્ર, પુત્રી 10 દિવસ પહેલા એજન્ટ મારફતે કેનેડા ગયા હતા.
કેનેડા ગયા પછી તેમનો સંપર્ક થયો હતો, પરંતુ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ છે કે, છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. બીજી તરફ, અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના સમાચાર સામે આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.