આપ છોડી ચૂકેલા સવાણીને જ્યારે પૂછવામાં આવ્યું હવે ભાજપમાં જોડાશો? મળ્યો ચોંકાવનારો જવાબ
ઉદ્યોગપતિ મહેશ સવાણીના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ મંગળવારે રાજકીય નાટક સર્જાયું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિપક્ષ નેતા સહિતના નગરસેવકો મહેશ સવાણીને મનાવવા તેમની ઓફિસે પહોંચ્યા હતા અને તમામ બાબતોને બાજુ પર મુકીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવાની વિનંતી કરી હતી.
દરમિયાવ કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા તો કેટલાકે ઉપવાસની ધમકી આપી હતી. મહિલા કાર્યકર્તાઓ પણ ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીની ઓફિસ બહાર જ બેસી ગયા હતા. પરંતુ મહેશ સવાણી તેમણે લીધેલા નિર્ણય પર અડગ રહ્યા હતા.
બીજી બાજુ દિવ્યભાસ્કરે AAPને છોડવા મુદ્દે મહેશ સવાણી સાથે વાત કરી હતી જેમાં ભાજપમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે, હા પણ નહીં કહું અને ના પણ નહીં. હમણાં બસ સમાજ સેવા કરવા માગું છું.
મહેશ સવાણીએ કહ્યું હતું કે, મારો નિર્ણય યથાવત રહેશે. મારા અંગત કારણોસર પાર્ટી છોડી છે. આપ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું, મહેશ સવાણીનો મેસેજ આવ્યો હતો કે, હું તમારી સાથે છું, ચિંતા કરવાની જરૂર નથી. જેથી મને એવું થયું કે મહેશભાઈ ફરીથી પાર્ટીમાં જોડાઈ શકે છે. જેના કારણે હું પણ ત્યાં પહોંચ્યો હતો.