સાંજના 7 વાગ્યા સુધી ગુજરાત ફરી ધમધમશે, અનલોક દરમિયાન થશે આ મોટા ફેરફારો, આજથી રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે. આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી આ ફેરફારો સાથે ગુજરાત દોડશે.આજ(11 જૂન)થી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરાંમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે, સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત્ રાખવામાં આવ્યો છે. આ તમામ નિયંત્રણો અને છૂટછાટો 26 જૂન સુધી અમલી રહેશે.
લારી-ગલ્લા, દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ એક કલાકનો વધારો થયો છે. હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લી રાખી શકાશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.તમામ દુકાનો, વાણિજ્ય એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે,
રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસઓપીના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે,
પરંતુ એક સમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસઓપીનું પાલન અવશ્યપણે થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે.જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. નાઈટ કર્ફ્યૂ 9ના બદલે રાત્રે 11થી સવારે 6 સુધી થઈ શકે છે.