પાટીલના ગઢમાં ફરી એક વખત AAP નું ઝાડુ ફરી વળ્યું, જાણો કઈ રીતે ગોપાલ ઇટલીયાએ ખેલ પાડ્યો,”સોનાની થાળીમાં લોખંડનો ખિલ્લો ઠોકી દીધો છે, જોકે, અમે એનો પણ રસ્તો શોધી લઈશું”, આ શબ્દો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા ત્યારે પાટીલે આ વાત કરી હતી. તેમને વિશ્વાસ હતો કે ચૂંટણી બાદ AAP નિષ્ક્રિય થઈ જશે અને ભાજપ ડેમેજ કંટ્રોલ કરી લેશે. જોકે, ડેમેજ કંટ્રોલ તો દુર હવે ભાજપ પોતાના કાર્યકરોને સાચવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે.
સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ હોવા છતા તેમના ગઢના કાંગરા એકબાદ એક ખરવા લાગ્યા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. ઇટાલિયાના નેતૃત્વમાં AAP પાટીલને તેમના જ ગઢમાં પડકાર ફેંકી રહી છે.
ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સુરતમાં જે રીતે પાર્ટી ગ્રાઉન્ડ પર જઈને કામગીરી કરી રહી છે તે જોઈને ભાજપના અનેક કાર્યકરો તેની સાથે જોડાઈ રહ્યા છે. સુરતમાં AAPની આંધીમાં સતત ભાજપનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે આ અંગે સુરત શહેર ભાજપનું કહેવું છે કે,” કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.”
ખાસ કરીને ગુજરાતમાં AAP એન્ટ્રી થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. આમ આદમી પાર્ટી મોટે ભાગે શહેરી મતદારોને આકર્ષતી પાર્ટી છે, જેને લઈને ભાજપની ઊંઘ હરામ થઈ છે. કારણ કે, ભાજપે સત્તા જાળવી રાખવા માટે શહેરી મતદારોના મતની ખાસ જરૂર છે. આવામાં જો AAP શહેરોમાં ભાજપને પડકાર ફેંકે છે તો 2022ની ચૂંટણીમાં રસાકસીનો જંગ થશે.