બ્લેક ફંગસ ફેલાવાનું મોટું કારણ આવ્યું સામે,ડોકટરે કહ્યું પાક્કું આ જ હોય શકે
જ્યારથી કોરોનાવાયરસે સમગ્ર દુનિયામાં કહેર વરસાવવાનું શરૂ કર્યુ છે ત્યારથી ભારતમાં ઉકાળા અને ઈમ્યુનિટી બૂસ્ટર્સની બોલબાલા વધી ગઈ છે. લોકો ઈમ્યુનિટી કેમ વધારવી એના ચક્કરમાં તેના અન્ય શું પરિણામ આવી શકે એ પણ વિચારતા નથી. હાલ કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી અને મોટી સંખ્યામાં સંક્રમિત લોકો મોતને ભેટ્યા, પણ જેઓ બચી ગયા તેમની સામે બ્લેક ફંગસ એટલે મ્યુકોરમાઇકોસિસની વિકરાળ સમસ્યા આવી પડી.
સ્થિતિ એવી સર્જાઈ કે દેશનાં વિવિધ રાજ્યોએ બ્લેક ફંગસની સમસ્યાને મહામારી જાહેર કરવી પડી. કોરોનાની સારવારમાં વપરાતા સ્ટિરોઈડ અને સાથે જો દર્દીને ડાયાબિટીસ હોય તો મ્યુકોરમાઇકોસિસનો તે ભોગ બને એવા ચાન્સ ખૂબ વધી જાય છે. આ બીમારી એટલી ઘાતક છે કે સેંકડો લોકોએ દાંત, તાળવું, આંખો પણ ગુમાવવાનો વારો આવ્યો છે અને અનેકનાં મોત પણ નીપજ્યાં છે. એવામાં સવાલ એ છે કે સ્ટિરોઈડ, કોરોનાવાયરસ અને ડાયાબિટીસ દુનિયાભરમાં છે પણ બ્લેક ફંગસની સમસ્યા માત્ર ભારતમાં જ જોવા મળી. આવું કેમ? એવો સવાલ ડોક્ટરોને થયો, જેના પછી તેમનાં તારણો એવાં છે કે ભારતમાં આ બીમારી વધવાનું કારણ ઝિંકનો વધુપડતો ઉપયોગ છે.
ઝિંક સપ્લિમેન્ટ્સની બ્લેક ફંગસના આતંકમાં ભૂમિકા હોવાની આશંકા
દેશમાં મ્યુકોરમાઇકોસિસ અથવા તો બ્લેક ફંગસનું સંકટ માત્ર ડાયાબિટીસના દર્દીઓ દ્વારા સ્ટિરોઈડના ઉપયોગથી પેદા થતું નથી, પણ ડોક્ટરો કહે છે કે એન્ટીબાયોટિક્સથી લઈને ઝિંક સપ્લિમેન્ટ્સ અને આયર્ન ટેબ્લેટ્સ સુધીનો વધુ ઉપયોગ પણ આ માટેનું મોટું કારણ હોઈ શકે છે.
બ્લેક ફંગસ માટે ઈમ્યુનિટી બૂસ્ટર્સનો હાથ? ચાલી રહ્યું છે સંશોધન
મુંબઈના બાંદ્રાસ્થિત લીલાવતી હોસ્પિટલના સિનિયર એન્ડોક્રાઈનોલોજિસ્ટ શશાંક જોશીએ કહ્યું, “પ્રાથમિક કારણ તો સ્ટિરોઈડનો ઉપયોગ અને ડાયાબિટીસની બીમારી જ છે, પણ છેલ્લા બે દિવસથી મેડિકલ કમ્યુનિટીમાં એ વાતની ભારે ચર્ચા ચાલી રહી છે કે કરોડો ભારતીયો મહિનાઓ સુધી ઝિંક સપ્લિમેન્ટનો ઉપયોગ કરે છે. આ રીતે આયર્ન ટેબ્લેટ્સનો ઉપયોગ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં સ્ટરાઇલ વોટરના ઉપયોગના અભાવ અંગે પણ ઊંડી ચર્ચા છેડાયેલી છે.” ડો. જોશી ભારતમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં અચાનક ઉછાળા વિશે સંશોધનપત્ર તૈયાર કરી રહ્યા છે.
કોચીના ડોક્ટર રાજીવ જયદેવન કહે છે, “કોરોનાની પ્રથમ લહેરમાં આપણને સાર્સ-કોવ-2 વિશે ખૂબ ઓછી જાણકારી હતી. આ કારણથી ઈલાજમાં અનેક પ્રકારની દવાઓ અને કોમ્બિનેશનોને ટ્રાય કર્યા હતા.” દેશના અન્ય અનેક ડોક્ટરોની જેમ તેમનું પણ માનવું છે કે મ્યુકોરમાઇકોસિસના સંકટ પાછળ એક નહીં, અનેક કારણ છે. કોરોનાવાયરસ, ડાયાબિટીસ અને સ્ટિરોઈડસનું કોમ્બિનેશન તો દુનિયાબરમાં છે, પરંતુ મ્યુકોરમાઇકોસિસનું સંકટ માત્ર ભારતમાં જ પેદા થયું છે. આ મામલે ડો. જયદેવને કહ્યું હતું, “ભારતમાં કોઈ ને કોઈ ગુપ્ત પરિબળો છે કે જેને કારણે આ સમસ્યા આટલી વકરી છે.”